ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું : 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન
કેન્દ્ર સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે નવા કૃષિ કાયદા પર સંમતિ નથી ઊભી થઈ રહી આ દરમિયાન ખેડૂતોએ કેન્દ્ર પર દબાણ વધારવા માટે આંદોલન ઉગ્ર કરવાનું નક્કી કરાયું છે. ખેડૂતોનું કહેવું છે કે, જો કેન્દ્ર સરકાર તેમની માંગ નહીં માને તો 8 ડિસેમ્બરે ભારત બંધ કરાશે. તો, ખેડૂત નેતા હરવિંદર સિંહ લખવાલે કહ્યું કે, દિલ્હીના અન્ય રસ્તાઓને પણ રોકવાની યોજના બનાવાઈ છે. તો, શનિવારે મોદી સરકાર અને કોર્પોરેટ હોઉસોના પૂતળા ફૂંકવાની પણ જાહેરાત કરાઈ છે.
આ પ્રદર્શન સ્થળ પર ભારતીય કિસાન યુનિયનએ શનિવારે પૂતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરી. યુનિયનના મહાસચિવે કહ્યું કે, '5 ડિસેમ્બરે મોદી સરકાર અને કોર્પોરેટ હાઉસના પુતળાઓનું દેશમાં દહન કરાશે. 7 તારીખે બધા વીર પોતાના મેડલો પાછા આપશે. 8 તારીખે અમે ભારત બંધનું આહવાહન કર્યું છે તેમજ એક દિવસ માટે બધા ટોલ પ્લાઝા ફ્રી કરી દેવાશે.'
બીજી તરફ, ખેડૂત આંદોલન પર દરેક પક્ષ પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષોને આ આંદોલનમાં કેન્દ્ર સરકારને બેકફૂટ પર લાવવાની એક તક દેખાઈ રહી છે. એટલે, તેમનામાં ખેડૂતોનું સમર્થન મેળવવાની હોડ દેખાઈ રહી છે. એ કારણે જ તેઓ એકબીજા પર આરોપ પણ લગાવી રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આપના નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'તેઓ (કેપ્ટન અમરિંદર સિંહ) પંજાબના ખેડૂતોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જણાવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી આજે ભાજપના મુખ્યમંત્રીની જેમ વ્યવહાર કરી રહ્યા છે.' તેમણે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર ખેડૂતોનો અવાજ દબાવવા રાજકારણ કરી રહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો.
તો હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ભૂપે્ન્દ્ર સિંહ હુડ્ડાએ રાજ્યપાલ સમક્ષ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. તેમણે કહ્યું કે, 'હરિયાણાના રાજ્યપાલને આગ્રહ છે કે, તે વિશેષ સભા સત્ર બોલાવે અને ખેડૂતોની સમસ્યા પર ચર્ચા કરે. સભામાં અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું, કેમકે વર્તમાન સરકાર લોકોનો અને વિધાનસભાનો વિશ્વાસ ગુમાવી ચૂકી છે.'

No comments