લેપ્ટોસ્યારોસીસ રોગને નાથવા વલસાડ આરોગ્યતંત્ર સજજ
૯.૯૯ લાખ લોકોને ગોળી ગળાવાશે : ઘરે -ઘરે સર્વેલન્સ
વલસાડ જિલ્લામાં ૧૦૦ ઇંચથી વધુ વરસાદ થાય છે. લેપ્ટોસ્યારોસીસ રોગ મહદઅંશે ચોમાસાની સીઝનમાં જોવા મળે છે. લેપ્ટોસ્યારોસીસ ખૂબ જ ગંભીર રોગ છે, પરંતુ તેની કાળજી લેવામાં આવે તો રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.
વલસાડ જિલ્લામાં લેપ્ટોસ્યારોસીસ રોગ અટકાયત અને નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગામોમાં આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કરો દ્વારા ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજીત ૯,૯૯,૫૮૯ લોકોને કેપ, ડોકલીસાયકલીન, કીમોપ્રોફાઇલેકસીસ દવા ગળાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લેપ્ટોસ્યારોસીસ રોગ સામે કાબુ મેળવવા આઠ અઠવાડિયા સુધી કરવામાં આવે છે. ચાલુ વર્ષે ચાર અઠવાડિયાના અંત સુધીમાં ૭૧ લાખ જેટલી કેપ, ડોકલીસાયકલીન ગોળી ગળાવવામાં આવી છે. આ ઉપરાંત જરૂરીયાતમંદોને પોવિડોન આયોડીન મલમનું પણ વિતરણ કરવામાં આવી રહયું છે. ગત વર્ષની સરખામણીએ ઓગસ્ટના અંત સુધીમાં લેપ્ટોસ્યારોસીસ રોગનો કોઇ પણ કેસ નોંધાયો નથી. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ગત વર્ષે ઓગસ્ટ ૨૦૧૮ના અંત સુધીમાં લેપ્ટોસ્યારોસીસના બે કેસ નોંધાયા હતા. જયારે આખા વર્ષ દરમિયાન કુલ પાંચ કેસ નોંધાયા હતા.
લેપ્ટોસ્યારોસીસ રોગ સામે આરોગ્યતંત્ર ગંભીરતા દાખવીને છેલ્લા પાંચ વર્ષમાં જે ગામમાં લેપ્ટોસ્યારોસીસ રોગના કેસ નીકળ્યા હોય એવા હાઇ રીસ્ક ૪૪ ગામોમાં ભવાઇના કાર્યક્રમો યોજી રોગ સામે જાગૃતતા ફેલાવવામાં આવી છે. ૧૫- જુનથી શરૂ કરવામાં આવેલી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સના ચાર રાઉન્ડ પુરા કરવામાં આવ્યા છે. આ સર્વેલન્સમાં ૨૬,૭૯૦ તાવના કેસ નોંધાયા છે. આ કેસમાં ૩૦૫૮૨૨ કેપ, ડોકલીસાયકલીન ગોળી આપવામાં આવી છે.

No comments